જદુનાથસિંહ
નાયક જદુનાથસિંહ PVC | |
---|---|
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે જદુનાથસિંહની અર્ધપ્રતિમા | |
જન્મ | ખજુરી, શાહજહાંપુર, (વર્તમાન ઉત્તર પ્રદેશ) | 21 November 1916
મૃત્યુ | 6 February 1948 તૈન ધાર, નૌશેરા, જમ્મુ-કાશ્મીર | (ઉંમર 31)
દેશ/જોડાણ | India |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૪૧–૧૯૪૮ |
હોદ્દો | નાયક |
સેવા ક્રમાંક | 27373[૧] |
દળ | રાજપૂત રેજિમેન્ટ, પ્રથમ બટાલિયન |
યુદ્ધો | દ્વિતીય વિશ્વયુદ્ધ
|
પુરસ્કારો | પરમવીર ચક્ર |
નાયક જદુનાથ સિંહ ભારતીય ભૂમિસેનાના સૈનિક હતા. તેઓ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જમ્મુ અને કાશ્મીરમાં લડ્યા હતા અને શહીદ થયા હતા. વીરતા માટે તેમને પરમવીર ચક્ર એનાયત કરાયું હતું. તેઓ આ સન્માન મેળવનાર ચોથા વ્યક્તિ હતા.
અંગત જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૨૧ નવેમ્બર ૧૯૧૬ના રોજ રાજપૂત કુટુંબમાં શાહજહાંપુર, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો. તેઓ ૨૧ નવેમ્બર ૧૯૪૧ ના રોજ ૧ રાજપુતમાં ભરતી થયા હતા.
યુદ્ધ દરમિયાન
[ફેરફાર કરો]૧૯૪૭ના શિયાળા માં ૨૪ ડિસેમ્બરના રોજ પાકિસ્તાની હુમલાખોરોએ નૌસેરા વિસ્તારમાં આવેલ ઝાંગડનો કબ્જો કર્યો. આ દ્વારા તેઓએ નૌસેરા પર હુમલો કરવાની તક મેળવી. ભારતીય સૈન્ય આ ખતરાથી જાણકાર હતું માટે તેમણે કોટ ગામ કબ્જે કર્યું અને બ્રિગેડિયર ઉસ્માનના નેતત્વ હેઠળ નૌસેરા ફ઼રતે ચોકી ગોઠવી. આમાંની એક ચોકી નૌસેરાની ઉત્તરે તૈન ધાર ની હતી.
૬ ફ઼ેબ્રુઆરીના રોજ વહેલી સવારે દુશ્મને હુમલો કર્યો. હુમલાની શરૂઆત ભારતીય દળો પર દુશ્મનની ચોકીઓમાંથી ગોળીબાર દ્વારા થઈ. બાદમાં મશિનગન અને મોર્ટાર ફ઼ાયર તૈન ધારની ચોકી તરફ઼ થયાં. તે દરમિયાન અંધારાનો લાભ લઈ દુશ્મન ભારતીય ચોકી સુધી આવી ગયા હતા. અજવાળું થતાં હજારો દુશ્મનો નજરે ચડ્યા. તૈન ધાર ખાતે ચોકી ક્રમાંક ૨ ખાતે જદુનાથ સિંહના નેતત્વ હેઠળ ૯ સૈનિકો તૈનાત હતા.
દુશ્મનોએ આ ચોકી પર કબ્જો જમાવવા લહેરોમાં હુમલા કર્યા. આ તબક્કે જદુનાથ સિંહે અજબ બહાદુરી અને નેતત્વ શક્તિ દાખવી. તેમની નાની ટુકડીનો એવો ચતુરાઈભર્યો ઉપયોગ કર્યો કે દુશ્મનો મૂંઝવણમાં મુકાઈ અને પીછેહઠ કરી. જ્યારે તેમના ચાર સૈનિકો ઘાયલ થયા ત્યારે તેમને ફ઼ેરગોઠવણ કરી અને આગલા હુમલા માટે તૈયાર કર્યા. દુશ્મન કરતાં ખુબ જ ઓછી સંખ્યા હોવા છતાં ચોકી અડગ રહી. જ્યારે જદુનાથ સિંહ સહિત તમામ સૈનિકો ઘાયલ થયા ત્યારે તેમણે પોતે ઘાયલ સૈનિક પાસેથી બ્રેન ગન લઈ ગોળીબાર શરુ કર્યો. તેમનો ગોળીબાર એટલો સખત હતો કે નિશ્ચિત જણાતી હાર જીતમાં બદલાઈ ગઈ. ચોકી બીજી વખત પણ બચી જવા પામી.
અત્યાર સુધીમાં જદુનાથ સિંહ સિવાયના તમામ સૈનિકો શહીદ થયા હતા. દુશ્મનોએ ચોકી કબ્જે કરવાના દઢ નિર્ણય સાથે ત્રીજો અને આખરી હુમલો કર્યો. જદુનાથ સિંહ એકલા અને ઘાયલ હતા. તેઓ ખાઇમાંથી બહાર કુદી પડ્યા અને બ્રેન ગન ફ઼ાયર કરવા લાગ્યા. તેનાથી દુશ્મનો આશ્ચર્ય પામ્યા અને અવ્યવસ્થા સર્જવાને કારણે પાછા હટી ગયા. પરંતુ જદુનાથ સિંહને બે ગોળી છાતી અને માથામાં વાગી અને તેઓ બહાદુરીપૂર્વક મોતને ભેટ્યા. નૌસેરાના યુદ્ધની કટોકટી ભરેલા સમયે તેમણે પોતાની ચોકી અણનમ રાખી. આ માટે નાયક જદુનાથ સિંહને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરાયા.
તેમના જન્મસ્થળ શાહજહાંપુરમાં એક રમતના સ્ટેડિયમને તેમનું નામ અપાયું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Chakravorty 1995, pp. 56–57.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- જય હિન્દ જય ભારત સંગ્રહિત ૨૦૧૨-૦૩-૨૦ ના રોજ વેબેક મશિન
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.